--------------------------------------------------

ગોંડલમાં સામૂહિક આપઘાત:સિમેન્ટ કારખાનામાં પિતાએ બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ ગળાફાંસો ખાધો, પુત્રને ધોરણ-10માં 70% આવ્યાં હતા

 રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે માનવતાને હચમચાવી દીધી છે. ઘોઘાવદર રોડ પર આવેલા 'ગાયત્રી સિમેન્ટ' નામના કારખાનામાં એક પિતાએ પોતાના બે તેજસ્વી સંતાનોની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સામૂહિક આપઘાતનું પ્રાથમિક કારણ ધંધો ઠપ્પ થવાના કારણે આર્થિક નુકસાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શું છે સમગ્ર ઘટના?

મૂળ કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં 'ગાયત્રી સિમેન્ટ'નું કારખાનું ચલાવતા 35 વર્ષીય જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયાએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મળતી માહિતી મુજબ, આજે સવારે જયપાલભાઈ તેમના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને હંમેશની જેમ વહાલથી ઘરેથી પોતાની સાથે કારખાને લઈ ગયા હતા. કોઈને અંદાજ પણ નહોતો કે આ તેમની છેલ્લી મુલાકાત હશે.

કારખાનામાં પહોંચ્યા બાદ જયપાલભાઈએ અગમ્ય કારણોસર પ્રથમ પોતાના બંને સંતાનોને ગળાટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. સંતાનોના નિષ્પ્રાણ દેહ જોયા બાદ પિતાએ પણ કારખાનાના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.તેજસ્વી તારલાઓનો અકાળે અસ્ત

આ કરુણાંતિકામાં જીવ ગુમાવનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. પુત્ર મિશ્ર (15 વર્ષ) ગોંડલની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં તેણે 70% ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું. પુત્રી રિવા (10 વર્ષ) રામોદની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બંને બાળકોના અકાળે અવસાનથી તેમના મિત્રો અને શિક્ષકોમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.હસતો-રમતો પરિવાર વિખેરાયો

જયપાલભાઈ તોગડીયા છેલ્લા દોઢ દાયકાથી સફળતાપૂર્વક વ્યવસાય કરી રહ્યા હતા. તેમના પરિવારમાં વૃદ્ધ પિતા, પત્ની અને બે બાળકો હતા. આર્થિક રીતે સધ્ધર અને સુખી દેખાતા પરિવારમાં અચાનક આવી કઈ આફત આવી કે પિતાએ આટલું કઠોર પગલું ભરવું પડ્યું, તે રહસ્ય હજુ અકબંધ છે. જો કે ધંધો ઠપ્પ થવાના કારણે આર્થિક નુકસાન થવાથી જયપાલભાઈએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ ગોંડલ શહેર A ડિવિઝન પોલીસનો કાફલો, નગરપાલિકાની એમ્બ્યુલન્સ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.

એકસાથે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સાંઢવાયા ગામ અને ગોંડલના વેપારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના આ પગલાં પાછળ કોઈ પારિવારિક કલેશ છે, આર્થિક સંકડામણ છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ ઊંડી તપાસ ચલાવી રહી છે.


Post a Comment

Previous Post Next Post

ads

ads